કથાકાર પ્રફુલભાઈ શુક્લનો 66મો જન્મોત્સવ ભક્તિધામ આછવણીમાં ભવ્ય રીતે ઉજવાયો

admin

Published on: 15 August, 2025

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વિશ્વ વિખ્યાત કથાકાર અને કથા ક્ષેત્રના પ્રખર વક્તા પ.પૂ. પ્રફુલભાઈ શુક્લનો 66મો જન્મોત્સવ આછવણી પ્રગટ પ્રગટેશ્વર ભક્તિધામ ખાતે ધામધૂમપૂર્વક ઉજવાયો. આ અવસર પર ધર્માચાર્ય પૂજ્ય પરભુદાદાના આશીર્વાદથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના અનેક ધાર્મિક, સામાજિક, રાજકીય આગેવાનો તેમજ સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શિવ પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ 66 દીપ પ્રગટાવી પ્રફુલભાઈ શુક્લને અર્પણ કરીને કરવામાં આવી હતી, જે ભક્તિભાવ અને પરંપરાનો અનોખો સંદેશ આપતો હતો.

રાષ્ટ્રપ્રેમનો સંદેશ

પ્રસંગે પ્રફુલભાઈ શુક્લે પોતાના વચનામૃતમાં ભારપૂર્વક જણાવ્યું કે “રાષ્ટ્ર ધર્મ સર્વોપરી છે”. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યક્તિગત માન્યતાઓ, જાતિ-પ્રાંતના ભેદભાવ કે રાજકીય વિચારધારાઓ કરતાં રાષ્ટ્રપ્રેમ ઊંચો હોવો જોઈએ. દેશની અખંડિતતા જ આપણું સર્વોચ્ચ કર્તવ્ય છે, કારણ કે અખંડ ભારત જ આપણો ગૌરવ અને ઓળખ છે. તેમણે દરેક નાગરિકને પોતાના હિત કરતાં રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવાની પ્રેરણા આપી. તેમના શબ્દોમાં યુવાનો માટે ખાસ સંદેશ હતો — તેઓએ સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રના આદર્શોને જીવનમાં ઉતારીને દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.

ભગવતાચાર્ય આશિષભાઈ વ્યાસનો ભાવવિભોર સંદેશ

આ પ્રસંગે ભગવતાચાર્ય પ.પૂ. આશિષભાઈ વ્યાસે જણાવ્યું કે આજે માત્ર ત્રિવેણી નહીં, પરંતુ અનેક પવિત્ર પ્રવાહોનું સંગમ થયો છે. ભગવાન શંકરની ઉપાસના સાથે પ્રિય કથાકાર પ્રફુલભાઈ શુક્લના પાવન દર્શન પ્રસંગને અનન્ય બનાવે છે. મામાએ પોતાના જીવનના પચાસ વર્ષથી વધુ સમય વ્યાસપીઠને અર્પણ કરીને હજારો હૃદયોમાં ભક્તિનો દીપ પ્રગટાવ્યો છે. તેમના વચનામૃતે અનેક જીવનો ધન્ય થયા છે. આશિષભાઈએ ઉમેર્યું કે આજે આપેલી શુભકામનાઓ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ હૃદયની ઊંડાઈમાંથી વહેતા ભાવોમાં વ્યક્ત થાય છે.

મહાનુભાવોનો ભવ્ય ઉપસ્થિત સમારોહ

પ્રસંગે ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી શિવજી મહારાજ, ગુજરાત રાધેશ્યામ પરિવારના પ્રમુખ શ્રી અશોકભાઈ ગજેરા, સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રીતિબેન જોષી, ધર્મેશભાઈ વઘાસીયા (સુરત), ભરતભાઈ પટેલ (મુનસાડ), કે.ટી. પટેલ (દીહેણ), પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ, ચીખલી કોલેજના દર્શનભાઈ દેસાઈ, નરસિંહભાઈ સવાણી (નવસારી) ઉપસ્થિત રહ્યા.

કથાકારોમાં શ્રી ભીખુરામજી, શ્રી અજયભાઈ જાની, શ્રી જતીનભાઈ જાની, શ્રી વિનયભાઈ નાયકની હાજરીએ પ્રસંગને ભવ્યતા આપી. સાથે જ કામદાર નેતા શ્રી આર.સી. પટેલ, વાપીના ડો. ફાલ્ગુનીબેન દેસાઈ, કૌશિકભાઈ ટંડેલ (વલસાડ), બિલ્ડર શ્રી કાળુભાઈ આહીર, એકલિંગજી ચેરિટેબલ ટ્રસ્ટ ઉદવાડા ઓરવાડના શ્રી અલ્પેશભાઈ ભટ્ટ, ખેરગામ બ્રહ્મ સમાજના વિજયભાઈ પાટકર, પત્રકાર મિત્રો, ડો. પંકજભાઈ પટેલ, ડો. નીરવભાઈ પટેલ, મુસ્તાનશિર વોહરા સહિત અનેક સંતો-મહંતો, કથાકારો, ધાર્મિક તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

વિશેષ સન્માન અને આગામી કથા યાત્રાની જાહેરાત

આછવણી પ્રગટ પ્રગટેશ્વર ભક્તિધામ ખાતે ધર્માચાર્ય પૂજ્ય પરભુદાદા પરિવાર, સીતાબેન પટેલ અને સમગ્ર શિવ પરિવાર દ્વારા કથાકાર પ્રફુલભાઈ શુક્લનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. પ્રસંગે આવતી 10 સપ્ટેમ્બરથી શ્રીલંકામાં યોજાનારી હનુમંત ચરિત્ર કથાની જાહેરાત કરવામાં આવી, જેમાં ભાવિક ભક્તોને યાત્રામાં જોડાવા માટે જાહેર નિમંત્રણ પાઠવાયું.

સેવા, વ્યવસ્થા અને મહાપ્રસાદ

કાર્યક્રમના અંતે શિવ પરિવારના પ્રમુખ બિપીનભાઈ પરમાર દ્વારા આભારવિધિ આપવામાં આવી. અપ્પુભાઈ પટેલ, મહેશભાઈ પટેલ અને વિપુલભાઈ પંચાલ દ્વારા ભોજન વ્યવસ્થામાં સેવા આપવામાં આવી. કાર્યક્રમનું સંચાલન કથાકાર ભાસ્કરભાઈ દવે અને મિતેશભાઈ જોષીએ કર્યું. અંતે ભવ્ય મહાપ્રસાદથી સમસ્ત ભક્તોએ પ્રસંગનો લાભ લીધો.

પ્રફુલભાઈ શુક્લનો 66મો જન્મોત્સવ માત્ર ઉજવણી નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમ, સંસ્કૃતિપ્રેમ અને ભક્તિભાવના પાવન સંગમ રૂપે ભક્તિધામ આછવણીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો.