
વલસાડ તાલુકાના બિનવાડા ગામે નવા વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨નો પ્રથમ સતસંગ જલારામ ધામ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા ભાવભર્યું કથાપ્રવચન કરવામાં આવ્યું હતું.
આ અવસરે રમણભાઈ ભગતજી, પ્રજ્ઞેશભાઈ પટેલ, તુષાર પટેલ, અંકિત પટેલ, અરુણભાઈ સહિત જલારામ યુવક મંડળના સભ્યોએ પ્રફુલભાઈ શુક્લનું આત્મિય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના આરંભે કથાકાર ભાસ્કરભાઈ દવેએ પ્રસંગિક ઉદબોધન આપ્યું હતું.
Ad.

પ્રફુલભાઈ શુક્લએ પોતાના પ્રવચનમાં કહ્યું કે – “હનુમાનજી રામના હૃદયમાં વસેલા છે કારણ કે તેઓ રામકથા સાંભળવાના રસિયા છે — ‘પ્રભુ ચરિત્ર સુનીબેકો રસિયા’. જે વ્યક્તિને ભગવાનની કથા સાંભળવામાં આનંદ છે, તે ખરેખર પ્રભુના હૃદયમાં વસે છે. સતસંગ વિનાનો મનુષ્ય પશુ સમાન છે.”
વરસાદ વચ્ચે પણ બિનવાડા ગામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રફુલભાઈના આધ્યાત્મિક શબ્દોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમના અંતે જાહેરાત કરવામાં આવી હતી કે તા. ૧૯/૧/૨૦૨૬થી બિનવાડા ખાતે મહા નવરાત્રી દરમ્યાન નવ દિવસીય દેવી ભાગવત કથાનું આયોજન કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા કરવામાં આવશે.
આ જાહેરાત સાંભળતાં જ ઉપસ્થિત ભક્તોએ તાળીઓના ગડગડાટ સાથે આનંદ વ્યક્ત કર્યો હતો અને ભક્તિભાવના સાથે નવા વર્ષની શરૂઆતને ધર્મમય બનાવી હતી.