માંગરોળ તાલુકાના શીલ ગામે શ્રીનાથજીની હવેલીમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ મહોત્સવની આશ્થાભેર ઉજવણી

admin

Published on: 25 October, 2025

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

માંગરોળ તાલુકાના શીલ ગામે આવેલી શ્રીનાથજીની હવેલી ખાતે નૂતન વર્ષના પાવન દિવસે પુષ્ટિમાર્ગીય પરંપરાના મહત્વપૂર્ણ તહેવાર ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક તેમજ વિદેશી વૈષ્ણવ ભક્તોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉપસ્થિત રહી ધાર્મિક આનંદનો અનુભવ કર્યો હતો.

પુષ્ટિ સંપ્રદાયની હવેલીઓમાં દીપોત્સવીના પાંચ પર્વોમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવનો ચોથો પર્વ વિશેષ માનવામાં આવે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળીએ ઉંચકી વ્રજવાસીઓને ઈન્દ્રના પ્રકોપથી બચાવ્યા હતા. ઈન્દ્રના અભિમાનને દુર કરી, પ્રકૃતિની પૂજાનું આદર્શન આપનાર આ પ્રસંગથી પ્રેરણા લઈને દર વર્ષે આ પર્વ આનંદોભેર ઉજવવામાં આવે છે.

શીલ ગામની શ્રીનાથજીની હવેલીમાં વર્ષોથી ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવનું આયોજન પરંપરાગત રીતે થાય છે. આ હવેલીમાં ચિત્રજીત શ્રીનાથજીનું અદ્ભુત સ્વરૂપ બિરાજમાન છે. છેલ્લા પંચાવન વર્ષથી અહીં પરમ પૂજ્ય કિશોચંદ્ર બાવાજીના આશીર્વાદ હેઠળ પૂજ્ય પિયુષલાલજી મહોદયના માર્ગદર્શન અને મુખ્યાજી હર્ષદભાઈ પંડ્યા તથા હવેલીના સેવા દાતાઓના સહયોગથી ધર્મિક કાર્યક્રમોનું સુચિત સંચાલન થાય છે.

આ વર્ષે પણ ભવ્ય અન્નકૂટ મહોત્સવમાં અમેરિકાથી હરેશભાઈ દેસાઈ, નીલાબેન દેસાઈ, લંડનથી મધુબેન પ્રવીણભાઈ ધાણક તથા સ્થાનિક શ્રેષ્ઠી તરીકે કેતનભાઈ નરસાણા, અશ્વિનીબેન મહેતા, દર્શના બેન મહેતા (માંગરોળ), પંકજભાઈ ઠાકર (કંકાસા-શીલ), જસવંતભાઈ પરમાર, દેવીબેન ગરચર (શીલ), ગોપાલભાઈ વાછાણી (કેશોદ) વગેરેના સહયોગથી કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. ગામના યુવા સરપંચ જયેશભાઈ ચુડાસમા અને સમાજ અગ્રણી રાજાભાઈ ભરડાએ પણ ઉલ્લેખનીય સહયોગ આપ્યો હતો.

પુષ્ટિમાર્ગમાં છ ઋતુઓ દરમિયાન શ્રીનાથજીના વિવિધ ઉત્સવો ઉજવાય છે — વર્ષાઋતુમાં હિંડોળા દર્શન, શરદ ઋતુમાં રાસોત્સવ, હેમંત ઋતુમાં કુંનવારા, શિશિર ઋતુમાં હોરી ખેલ, વસંત ઋતુમાં દોલોત્સવ અને ગ્રીષ્મ ઋતુમાં ફૂલમંડળી મનોરથ જેવી દિવ્ય પરંપરાઓ અહીં જીવંત રાખવામાં આવે છે. આ ઉત્સવોમાં સ્થાનિક તથા વિદેશી વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

અન્નકૂટ મહોત્સવ પ્રસંગે અનેક વિદેશી તેમજ સ્થાનિક ભક્તો શ્રીનાથજીના દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા. ભાગવતાચાર્ય શાસ્ત્રી વિપુલભાઈ, પંકજભાઈ ઠાકર, મનુભાઈ જોષી, વિનુભાઈ જોષી અને માલદભાઈ નદાણીયા (દિવાસા) સહીતના શ્રેષ્ઠીજનો ઉપસ્થિત રહી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.

આ પ્રસંગે સત્સંગ મહિલા મંડળની શંકુબેન જોષી, ભાવનાબેન ઠાકર, ટમુબેન જોષી, ભારતીબેન ટીલાવત, ગીતાબેન પંડ્યા, રસીલાબેન જોષી, લતાબેન બામણિયા અને મંજુબેન વાજા સહિતના સ્ત્રી ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર ગામના યુવાનો દ્વારા હવેલીના આંગણે ભક્તિભાવપૂર્વક વિવિધ સેવાઓ આપી કાર્યક્રમને યશસ્વી બનાવાયો હતો.

ઉલ્લેખનીય છે કે પોરબંદરના જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડાની સતત પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગામના યુવાનોમાં ધર્મ અને સંસ્કાર પ્રત્યેની ભાવના વિકસી રહી છે. તેમની પ્રેરણાથી ઘણા યુવાનો હવે પાન, ફાકી, બીડી-સિગારેટ, ગુટકા, માવા જેવા નશીલા પદાર્થોનો ત્યાગ કરી રચનાત્મક કાર્યમાં જોડાઈ રહ્યા છે, જે આજના યુગમાં સમાજ માટે ગૌરવની વાત છે.

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવમાં અન્નની વિવિધ વાનગીઓ, મીઠાઈઓ અને નવી પાકની વાનગીઓનો ઢગલો બનાવી ભગવાનને ભોગ રૂપે અર્પણ કરવામાં આવ્યો. “અન્નકૂટ” શબ્દનો અર્થ જ અનાજનો ઢગલો છે — જેમાં ભક્તો પોતાની ભાવના અનુસાર નવી પાકની વાનગીઓ ભગવાનને સમર્પિત કરે છે અને પછી ભોગ રૂપે તેનો સ્વીકાર કરે છે. આ પરંપરા ભક્તિની ઊંચી ભાવનાનું પ્રતીક છે, જેમાં ભગવાનને સમર્પિત કર્યા પછી જ અન્નનો ભોગ લેવાય છે.

આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા આ ઉત્સવનું આયોજન ગોવિંદભાઈ પિથીયા, રાજસીભાઈ પિથીયા, ગોપાલભાઈ વાછાણી, જીતેશભાઈ જોષી સહિતના અનેક વૈષ્ણવોના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સમગ્ર હવેલીમાં ભજન-કીર્તન, શણગાર અને દિવ્ય સુગંધથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું.

નૂતન વર્ષના આ પાવન અવસર પર શ્રીનાથજીની હવેલીમાં ભક્તિભાવ અને ધર્મિક એકતાનું અદભુત દ્રશ્ય જોવા મળ્યું — જ્યાં ગામના બાળકોથી લઈ વરિષ્ઠ ભક્તો સુધી સૌએ ભેગા થઈ ભગવાન શ્રીનાથજીની આરાધના કરી અને નવા વર્ષમાં સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવ્યા.

રિપોર્ટર: વિરમભાઈ કે.આગઠ