ધોડિયા સમાજના લગ્નોત્સુક યુવક–યુવતી માટે 18મો પરિચય મેળો : એકતા, સંસ્કૃતિ અને સંવેદનાનો સુંદર સંગમ !

admin

Published on: 29 December, 2025

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આલેખન : હાર્દિક પટેલ
નાનાપોઢા તાલુકાના કરવડ ગામે સ્થિત શ્રી કૌશિક કાંતિલાલ હરિઆ માધ્યમિક શાળાના વિશાળ અને સુવ્યવસ્થિત પ્રાંગણમાં ધોડિયા પટેલ સમાજ મૈત્રી જીવનસાથી પસંદગી મેળો–2025 અંતર્ગત ધોડિયા સમાજના લગ્નોત્સુક યુવક–યુવતી માટે 18મો પરિચય મેળો ભવ્ય, શિસ્તબદ્ધ અને ઉત્સાહભેર યોજાયો હતો. સમાજના યુવાનોને યોગ્ય જીવનસાથી પસંદ કરવાની સકારાત્મક તક મળે, પરિવારજનોને વિશ્વાસપાત્ર અને પારદર્શક માધ્યમ ઉપલબ્ધ થાય તેમજ સમાજમાં સંસ્કાર, સમજૂતી અને એકતા મજબૂત બને—આ હેતુ સાથે આયોજિત આ મેળામાં વિવિધ ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવક–યુવતીઓ સાથે તેમના માતા–પિતા અને સગાસંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પરિચય મેળો આદિવાસી લોકપ્રિય ગાયક તથા ભાજપ ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય દીપકભાઈ ચોબડીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય અને મંગલાચરણ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજના આગેવાનો અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત, સૌહાર્દ અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું, જે ધોડિયા સમાજની સુઘડ આયોજન ક્ષમતા અને એકતાનું પ્રતિબિંબ હતું.
અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં દીપકભાઈ ચોબડીયાએ ધોડિયા સમાજની એકતા, સંસ્કૃતિ અને ઓળખના મુદ્દાઓ પર ભારપૂર્વક વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ધોડિયા સમાજને બંધારણીય અનામત મળવાથી શિક્ષણ અને નોકરીના ક્ષેત્રે અનેક તકો ખુલ્લી થઈ છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આજે સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણ, સરકારી અને ખાનગી નોકરીઓ તેમજ વિવિધ વ્યવસાય ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. પરંતુ આ પ્રગતિ સાથે પોતાની મૂળ ઓળખ—ભાષા, સંસ્કૃતિ અને પરંપરા—જાળવવી પણ એટલી જ જરૂરી છે.
દીપકભાઈ ચોબડીયાએ ખાસ કરીને ધોડિયા બોલી અંગે લાગણીસભર અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ તે સમાજની આત્મા છે. જો આપણી ધોડિયા બોલી જીવંત રહેશે તો જ આપણી સંસ્કૃતિ, લોકપરંપરા અને ઓળખ મજબૂત રહેશે. તેમણે યુવાનોને દૈનિક જીવનમાં, પરિવાર અને સમાજના કાર્યક્રમોમાં ધોડિયા બોલીનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન તેમણે ધોડિયા ગીત ગાઈને હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમના ગીતોએ સમગ્ર પ્રાંગણમાં આત્મિયતા, ગૌરવ અને ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો, અને કાર્યક્રમને એક અનોખી સાંસ્કૃતિક ઊંચાઈ આપી હતી.

કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત એડવોકેટ કેયુરભાઈ પટેલે યુવાનોને શિક્ષણ, રમતગમત અને વ્યક્તિત્વ વિકાસના મહત્વ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજનો યુગ ભારે સ્પર્ધાનો છે. માત્ર પરંપરાગત શિક્ષણ પૂરતું નથી; યુવાનોએ સમયની માંગ પ્રમાણે નવી કુશળતાઓ વિકસાવવી, રમતગમત, ટેક્નોલોજી અને સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ આગળ વધવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે જો ધોડિયા સમાજના યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા પ્રગટ કરે, તો સમગ્ર સમાજનું નામ ઉજળું બને. સાથે સાથે તેમણે માતા–પિતાઓને પણ અપીલ કરી હતી કે સંતાનોના સ્વપ્નોને સમજીને તેમને યોગ્ય માર્ગદર્શન અને સહકાર આપવો જોઈએ, જેથી યુવાનો આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે.

પરિચય મેળામાં હરીશભાઈ પટેલે પોતાના સંબોધનમાં આજની બદલાતી સામાજિક પરિસ્થિતિ પર ગંભીર અને વિચારપ્રેરક ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આધુનિક જીવનશૈલી, શિક્ષણ અને નોકરીમાં વધતી સ્પર્ધા, સ્થળાંતર અને કારકિર્દી સ્થાપિત કરવાની દોડને કારણે સંતાનના લગ્ન આજે માતા–પિતાઓ માટે મોટી ચિંતા બની ગયા છે. અભ્યાસ પૂર્ણ કરવા, સારી નોકરી મેળવવા અને જીવનમાં સ્થિર થવામાં વર્ષો વીતી જાય છે, જેના કારણે લગ્નની ઉંમર આગળ વધે છે. પરિણામે યોગ્ય પાત્ર શોધવાની પ્રક્રિયા વધુ જટિલ બની જાય છે.
હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે આવા સંજોગોમાં યુવક–યુવતી પસંદગી મેળા સમાજ માટે અત્યંત ઉપયોગી અને વિશ્વાસપાત્ર માધ્યમ સાબિત થાય છે. સમાજની દેખરેખ હેઠળ, પરિવારજનોની હાજરીમાં થતી આ પ્રક્રિયા સુરક્ષિત, પારદર્શક અને સન્માનજનક હોય છે. આવા મેળાઓથી સમય અને ખર્ચ બંને બચે છે અને અનાવશ્યક દોડધામમાંથી મુક્તિ મળે છે. તેમણે ઉમેર્યું હતું કે સમાજે આવા પ્રયત્નોને વધુ વ્યાપક અને મજબૂત બનાવવા જોઈએ, જેથી વધુને વધુ પરિવારો તેનો લાભ લઈ શકે.
લગ્નમાં થતા અતિશય ખર્ચ અંગે પણ હરીશભાઈ પટેલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેખાદેખી, સામાજિક દબાણ અને પ્રતિષ્ઠાની ખોટી સ્પર્ધામાં આજે લગ્ન પ્રસંગે અતિશય ખર્ચ થતો જોવા મળે છે. પરિણામે ઘણા પરિવારો આર્થિક તંગી કે દેવામાં ફસાઈ જાય છે, જે લાંબા ગાળે પરિવાર અને સમાજ બંને માટે હાનિકારક છે. આથી સમૂહ લગ્ન જેવી પદ્ધતિને પ્રોત્સાહન આપવું સમયની માંગ છે. સમૂહ લગ્નથી ખર્ચ ઘટે છે, સમાનતાનો ભાવ વિકસે છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળે છે. લગ્નનો સાચો અર્થ દેખાવમાં નહીં, પરંતુ સંસ્કાર, સમજણ અને પરસ્પર સહયોગમાં રહેલો છે—એવો સંદેશ તેમણે આપ્યો હતો.

સુભાષભાઈ પટેલે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં સમાજમાં વિખૂટાપણું વધતું જાય છે. વ્યક્તિગત વ્યસ્તતા, આધુનિક જીવનશૈલી અને બદલાતા મૂલ્યોને કારણે પરિવારો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. પરિણામે પરંપરાગત રીતે સંબંધો બાંધવાની પ્રક્રિયા મુશ્કેલ બની છે. આવી સ્થિતિમાં પરિચય મેળા સમયની જરૂરિયાત બની ગયા છે. આવા મેળાઓ સમાજને ફરી એક મંચ પર એકત્રિત કરે છે, વડીલો અને યુવાનો વચ્ચે સંવાદ સ્થાપે છે અને નવી પેઢીને સંસ્કાર અને પરંપરા સાથે જોડે છે, એવું તેમણે જણાવ્યું.
આ 18મા પરિચય મેળામાં ધોડિયા સમાજના અગ્રણી આગેવાનો નવીનભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, ગજેન્દ્રભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ તથા મીરાબેન હરીશભાઈ પટેલ ,નિરૂબેન પટેલ ( નિરુ બા ) સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને અસરકારક સંચાલન ગણેશભાઈ પટેલે કર્યું હતું. આયોજકો દ્વારા નોંધણી, પરિચય પ્રક્રિયા અને વ્યવસ્થાપન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેના કારણે યુવક–યુવતીઓ અને તેમના પરિવારજનોને કોઈ અડચણ વિના સહેલાઈથી ભાગ લેવા મળ્યો હતો.

Ad.

સમગ્ર મેળામાં સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ 18મો પરિચય મેળો માત્ર લગ્ન માટેનો મંચ જ નહોતો, પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ, જવાબદારી અને ભવિષ્ય અંગે ચિંતન કરવાનો મહત્વપૂર્ણ અવસર પણ બન્યો હતો. આયોજકો દ્વારા કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ મહેમાનો, આગેવાનો, યુવક–યુવતીઓ અને પરિવારજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવા આયોજનો દ્વારા ધોડિયા સમાજ વધુ સંગઠિત, જાગૃત અને પ્રગતિશીલ બને—એવી લાગણી સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Ad.