યોગ્ય સ્થાન પર વાવેલું સત્કર્મનું બીજ મહાન ફળ આપે છે. – ભાગવતાચાર્ય શ્રી આશિષભાઈ વ્યાસ

admin

Published on: 07 November, 2025

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

માનવજીવન એ એક એવા ખેતર સમાન છે, જેમાં વિચારો, સંસ્કાર અને કર્મોનું વાવેતર થાય છે. માણસ જે વિચારે છે, જે કરે છે અને જે રીતે જીવે છે, એ જ તેની ભવિષ્યની પાક છે. “સત્કર્મ” એ એવુ દિવ્ય બીજ છે, જે જો યોગ્ય સ્થાન — એટલે કે શુદ્ધ મન, નિષ્કપટ ભાવ અને સત્યના માર્ગ પર — વાવાય, તો તેનું ફળ નિશ્ચિતપણે મહાન અને દિવ્ય હોય છે.

ભગવદ્ ગીતા કહે છે કે “કર્મણ્યેવાધિકારસ્તે” — એટલે કે મનુષ્યને માત્ર પોતાના કર્મ પર અધિકાર છે, ફળ પર નહીં. પણ જ્યારે કર્મ સાત્વિક હોય, અને તેનો આધાર ભગવાનની કૃપા તથા માનવકલ્યાણની ભાવના પર હોય, ત્યારે એ કર્મ આપોઆપ સુખ અને શાંતિનું ફળ આપે છે. જેમ કોઈ ખેડૂત ખેતરમાં સારા બીજ વાવે, સમયસર પાણી આપે, ગાયનું ખાતર આપે અને ધીરજ રાખે, તેમ જીવનમાં પણ સત્કર્મનું વાવેતર પ્રેમ, દયા, ધીરજ અને શ્રદ્ધાથી કરવું જરૂરી છે.

Ad..

સત્કર્મ એટલે શું? એવા કર્મ, જેનાથી પોતાનો સ્વાર્થ પૂરું ન થાય, પરંતુ અન્ય જીવનું ભલું થાય, સમાજને પ્રેરણા મળે અને ઈશ્વરપ્રેમ વધે. નાના કાર્યો — જેમ કે ભૂખ્યા માણસને રોટલી આપવી, વૃદ્ધોને સહારો આપવો, શિક્ષણનો પ્રચાર કરવો કે પ્રકૃતિનું રક્ષણ કરવું — આ બધું સત્કર્મ જ છે. એ ક્યારેક તરત ફળ આપતું નથી, પણ સમય આવતાં એ ફળ રૂપે મળે છે, તે પણ અનેકગણા વધીને.

જીવનમાં કેટલાક લોકો ફરિયાદ કરે છે કે “અમે સારા કામ કરીએ છીએ છતાં ફળ મળતું નથી.” હકીકતમાં, દરેક બીજને ઉગવા માટે સમય જોઈએ. ક્યારેક એ બીજ આપણા માટે નહીં, પરંતુ આપણા સંતાનો કે સમાજ માટે ફળ આપે છે. ઈશ્વરની ગણતરીમાં વિલંબ છે, પરંતુ અન્યાય નથી. તેથી સત્કર્મ કર્યા પછી ફળની ચિંતા કર્યા વિના, નિષ્ઠા અને આનંદથી કર્મ કરતા રહેવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

સત્કર્મનું બીજ વાવવું એ જીવનને અર્થપૂર્ણ બનાવવાનું સૌથી મોટું સાધન છે. જે વ્યક્તિના હૃદયમાં દયા, કરુણા અને સેવા ભાવ છે, તે જ સાચા અર્થમાં સમૃદ્ધ છે. પૈસા, સંપત્તિ કે પ્રતિષ્ઠા તાત્કાલિક છે, પરંતુ સત્કર્મનું ફળ ચિરંજીવ છે — જે આત્માને શુદ્ધ કરે છે અને જનમજનમાન્તર સુધી સકારાત્મક સંસ્કાર આપે છે.

ચાલો, આપણે સૌ આપણા જીવનખેતરમાં સદ્ભાવના, સત્ય અને સેવાના બીજ વાવીએ. કારણ કે યોગ્ય સ્થાન પર વાવેલું સત્કર્મનું બીજ કદી વ્યર્થ નથી જતું — એ જ તો ભવિષ્યનું દિવ્ય ફળ છે.